શૂન્યની નાવ
શૂન્યની કિંમત સહુથી છે ભારી.. ભારી.. ભારી..મૂલ્ય જો સમજો શૂન્યનાં , થશો ઘણા આભારી.
ખાલી વસ્તુ ની કિંમત ભરેલી વસ્તુ કરતા વધારે થાય છે.શૂન્યની કિંમત બીજા કોઇ પણ આંક થી વિશેષ થાય છે.
તમે નથી માનતા? તો વાંચો આ વાત .
એક શેઠ નો દરિયાઈ વેપાર હતો. તેમની જીંદગી મોટેભાગે દરિયામાં પસાર થતી. તેઓ વેપારના દિવસોમાં દરિયાઈ પ્રવાસમાં જ રહેતા અને જહાજ જ તેમની જીંદગી હતી.દરિયામાં જીંદગીનો વધુ સમય રહેવું પડતું, છતાં શેઠ ને તરતાં આવડતું નહોતું. વહાણ ના ખારવાઓ તથા ખલાસીઓ તેમને તરતાં શીખવાડવા તૈયાર હતા. તેઓ કહેતા : 'જોતજોતામાં અમે તેમને તરતાં શીખવાડી દઇશું. બાકી પાણીમાં રહેવું, અને તરતાં ન આવડવું, એ મોત ને આમંત્રણ આપવા જેવી વાત છે. દરિયો કયારે વિફરે એ કંઈ કહેવાય નહિ, તોફાન કયારે વહાણ ને ઊંધુ પાડે એનું કંઇ ઠેકાણું નહિ.ʼ
શેઠ કહે : 'હાલ તો સમય નથી.
પછી જોયું જશે!ʼ
શેઠ ને સમય ન હતો એ સાચી વાત હતી, પણ તરતાં શીખવાની જરૂર પણ એટલી જ તાકીદની હતી.
છેવટે મુનિમજી ને લાગ્યું કે શેઠ કદી તરતાં શીખશે નહિ. તેમણે શેઠ ને સલાહ આપી : 'શેઠ! તમે આ બે ખાલી પીપ સદાય તમારી સાથે રાખજો.ʼ
'ખાલી પીપ ન મારે વળી શી જરૂર ?ʼ શેઠે પૂછ્યું .
મુનિમજી કહે : ' તમે તરતાં તો શીખતા નથી અને તોફાનનું કંઈ ઠેકાણું છે ?ʼ કોઈ વખત દરિયો વિફરે ત્યારે આમાંનું એકાદ પીપ પકડી લેજો. એનો સહારો લઈ તમે બચી શકશો.ʼ શેઠે તો સલાહ માની. તેઓ પોતાની પાસે સદાય બે પીપ રાખવા લાગ્યા.
ન કરે નારાયણ તે વખત એવી દુર્ઘટના બની. વાદળો ગડગડાટ કરતા ચઢી આવ્યાં. વીજળીઓ ઝબુકવા લાગી. પવન જોરથી ફૂંકાયો. મોજાંઓએ તાંડવ શરૂ કર્યું.
અને જોતજોતામાં વાહણ ઊછળવા લાગ્યું. રાક્ષસી મોજાંઓ સામે આ વહાણની કોઈ હસ્તી ન હતી. વહાણના એક પછી એક ભાગ ભાંગીને દરિયામાં ઘસડાઇ જવા લાગ્યા.
દરિયાનું પાણી વહાણ માં ચારેબાજુ ફરી વળ્યું, ત્યારે વહાણના બધા માણસો એક પછી એક કૂદી પડ્યા. કૂદતી વખતે તેઓ શેઠને બૂમ પાડતા હતા: 'શેઠ! ચાલો તમેય કૂદી પડો, નહી તો નહી બચો!ʼ
શેઠે કૂદવા માટે એવું એક પીપ હાથમાં લીધું, પણ શેઠની પાસે એવાં ચાર પીપ હતાં, અને શેઠની મુંઝવણ જ એ હતી કે એ ચારમાંથી કયા પીપનો સહારો લેવો ?
તેમા બે પીપ ભરેલાં હતાં અને બે પીપ ખાલી હતાં. જે ભરેલાં હતાં તે બધાં જ સોનામહોરથી ભરેલાં હતાં. ગીનીઓથી ભરેલાં હતાં. શેઠ મોટા વેપારી હતા. સફર પરથી આવતા હતા અને તેમણે ઘણું ધન જમા કર્યુ હતું. બે પીપ માં એ જ ધન ભરેલું હતું.
શેઠની મુંઝવણ એ જ હતી કે તેઓ ભરેલા પીપ ને લઈ ને કૂદી પડે કે ખાલી પીપ લઈ ને?
જો ભરેલા પીપ લઈ ને કૂદી પડે તો મોત નક્કી હતું, કેમકે પૈસો ડૂબાડે છે, વજન હંમેશા નીચે બેસે છે. અંત માં તોફાન વધ્યું તો ખાલી પીપ નું મહત્વ વધ્યું. શેઠ ખાલી પીપ લઈ ને દરિયા માં કૂદી પડયા.
ભરેલાં પીપ પ્રાણ લેતાં હતાં. ખાલી પીપે પ્રાણ બચાવ્યા અને જીવતા રહ્યા બાદ પાછો વેપાર કયાં શરૂ થતો નથી?
શેઠને આજે તરવાની વિદ્યા નો અને ખાલી પીપ ની કિંમત નો ખ્યાલ આવી ગયો.
આ શૂન્ય ની શોધ ભારત ની છે.

Must
ReplyDelete